આજે 16મી ઓગષ્ટ, શુક્રવારના રોજ સવારે નડિયાદ મહેમદાવાદ રોડ ઉપર અંધેજ પાસે બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થતાં 14 લોકોના મોત નિપજ્યાં છે. અન્ય એક વ્યક્તિની સારવાર નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
પાવાગઢથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમ્યાન અંધેજ પાસે તેનો અકસ્માત રીક્ષા સાથે થયો હતો. સવારે નવ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. અને આ ઘટના બાદ તાત્કાલિક દુર્ઘટનાનો ભોગ બનેલા મુસાફરોને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
મળતી માહિતી મુજબ, ઘટનાની જાણ થતાં જ નડિયાદ તરફથી 108ની પાંચ જેટલી વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં ચાર ઘાયલોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમાંથી બે લોકોની હાલત અત્તિગંભીર મનાઈ રહી હતી. જેમના બે કલાક બાદ મોત નિપજ્યાં હોવાના અહેવાલ મળતાં મૃત્યુઆંક 13 સુધી પહોંચી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતનો ભોગ બનેલા મૃતકના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે આવી જતાં ઘટનાસ્થળે કરૂણાંતિક દ્રશ્યો જોવા મળ્યાં હતાં. એક તરફ વરસાદ પડી રહ્યો હતો. અને ઘટનાસ્થળે મૃત્યુ પામેલા મૃતકના અગિયાર શવને પોલીસ આઈસર ગાડીમાં લઈ જવાની ફરજ પડી હતી.જોકે સાંજે સારવાર લઈ રહેલા બે વ્યક્તિમાંથી એક વ્યક્તિનું મોત નિપજતાં મૃત્યુઆંક 14 પહોંચ્યો હતો.
સ્થાનીય લોકોનાં જણાવ્યા અનુસાર, આ રોડનો વપરાશ ચોવીસ કલાક રહે છે. આ ઉપરાંત રોડની બન્ને તરફ વિપુલ પ્રમાણમાં ઝાડ પથરાયેલા છે જેમાં અનેક મહાકાય વૃક્ષોની ડાળીઓ નમી ગઈ છે. ચોમાસામાં રોડ ઉપર અનેક ઠેકાણે ખાડાઓ પડી જાય છે. જેથી આ રોડ પર નડિયાદથી લઈને ખાત્રજ ચોકડી સુધી છાશવારે અકસ્માતો થતા રહે છે. આ રોડ પરથી નાના-મોટા પ્રાઈવેટ તેમજ સરકારી વાહનોની અવર-જવર સતત રહેતી હોય છે તેમ છતાં આ રોડ સાંકળો છે. જેને વધારે પહોળો કરવાની જરૂરિયાત છે.
આ પહેલા આ વર્ષે એપ્રિલ મહિનામાં થયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. જે અકસ્માત મહેમદાવાદ રોડ પર થયો હતો. જે ટ્રક અને રિક્ષા વચ્ચે થવા પામ્યો હતો. ઉલ્લેખનીય છેકે નડિયાદથી ખાત્રજ ચોકડી સુધી જવા માટે પેસેન્જર ઓટો ચાલે છે તેવી જ રીતે ખાત્રજ ચોકડીથી નડિયાદ તરફ માટે પણ પેસેન્જર ઓટો સવારથી રાત્રિ સુધી ચાલે છે. આ વર્ષે જુલાઈ મહિનામાં મહેમદાવાદ પાસે જીભઈપુરા પાસે જુન મહિનામાં ટેમ્પાનો અકસ્માત બે બાઈકો સાથે થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત ઘટનાસ્થળે નિપજ્યાં હતાં.
ચરોતરવાસીઓ શું કહે છે ?
ચરોતર પંથકના નડિયાદ-મહેમદાવાદ રોડ પર અંધેજ પાટીયા પાસે બસ અને પિયાગો રીક્ષા વચ્ચે અકસ્માત થતાં 13 લોકોનો કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. આ સમાચાર વહેતા થવાની સાથે જ ચરોતરવાસીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ ઘટના બાદ ચરોતરવાસીઓનું માનવું છેકે આ પ્રકારની ઘટના થવાનું મુખ્ય કારણ છેકે " પેસેન્જર ઓટો ચલાવનાર ડ્રાઈવરો પાસે લાઈસન્સ નથી. અંદાજે સિત્તેર ટકા લોકો પાસે રીક્ષાનું ડ્રાઈવિંગ કરવાનું લાઈસન્સ નથી. અને પોલીસની રહેમનજર માટે હપ્તા સિસ્ટમથી પેસેન્જર ઓટોનો ધંધો ચાલી રહ્યો છે. અને જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે તેનો ભોગ સામાન્ય નાગરિકો બને છે. "
News Published By

Editor.Charotar@Gmail.com