ખલનાયક ફિલ્મના
શૂટીંગ માટે આણંદ ખાતે આવેલા અભિનેતા હિતેન કુમાર સાથે ગુજરાતી ફિલ્મ જગત ની વર્તમાન
પરિસ્થિતિને ધ્યાને રાખીને અનેક મુદ્દે વાતચીત થઈ હતી.
જેમાં હિતેન કુમારે દિલ
ખોલીને ગુજરાતી ફિલ્મ ઉધોગના સારા-નરસાં પાસાનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત તેમને
પોતાની માટે ભવિષ્યનું કેવા પ્રકારનું આયોજન કર્યુ છે તે બાબતે જણાવ્યું હતું.
આણંદ ખાતેના જૂના બસ સ્ટેન્ડમાં ફિલ્મનું શૂટીંગ
કર્યા બાદ રાત્રે એક વાગ્યે અમદાવાદ તરફ રવાના થવાની તૈયારમાં હતા તે દરમ્યાન
અમારી ટીમે હિતેન કુમારનો સંપર્ક કરીને રૂબરૂમાં નાનો ઈન્ટરવ્યું આપવાનું જણાવ્યું.
જોકે આણંદથી અમદાવાદ નીકળવામાં ગણતરીની જ મિનિટ બાકી હતી. તેમ છતાં રાત્રે બાર
વાગ્યે અમે તેમનો ઈન્ટરવ્યું માટેનો સમય નક્કી થયો હતો. અમે સમય અનુસાર ત્યાં
પહોંચી ગયા અને અમારા મનમાં એક જ મોટો સવાલ હતો કે ગુજરાતી ફિલ્મ ઉધોગ માટે અનેક
લોકો કમરકસી રહ્યાં છે જેમાં હિતેન કુમારનો સમાવેશ થાય છે. છેલ્લા દાયકાથી હિતેન
કુમારે સારી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. અને ગુજરાતી સમાજને આપી પણ છે. તેમ
છતાં શહેરના યુવાવર્ગને આકર્ષવામાં કોઈ પણ અભિનેતા કે ડિરેક્ટર સફળ રહ્યો નથી.
તેવી પરિસ્થિતિમાં તેમનું ભવિષ્યનું આયોજન શું હશે ? અને ગુજરાતી ફિલ્મ ઉધોને વધારે મજબૂત
અને સફળ બનાવા માટે કેવા પ્રકારના પગલાં ભરવાની ખોટ વર્તાઈ રહી છે.
તે અમારા
પ્રશ્નોનો જવાબ આપે તે પહેલા તેમણે પોતાની ખલનાયક ફિલ્મને અનુલક્ષીને વાતો કહી જેમાં તેમણે
જણાવ્યું કે આ ફિલ્મ પોલિટીકલ થ્રીલર
ફિલ્મ છે. જેમાં કોઈ ધર્મ,રાજ્ય કે જ્ઞાતિ આધારિત રમાતી
રાજનીતિની વાત કે નેતાઓ દ્રારા રમાતી રાજનીતિની વાત નથી. પરંતુ રોજીંદા જીવનમાં
માણસ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે રાજનીતિ અન્ય લોકો સાથે રમે છે તે
પ્રકારની રાજનીતિ છે.આ ફિલ્મમાં
હિતેન કુમાર ખલનાયકનું પાત્ર ભજવી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટીંગ આણંદ,અમદાવાદ તેમજ ઈડર જેવા નાના-મોટા શહેરોમાં થશે. આ ફિલ્મ એક પ્રયોગ
છે. જો આ ફિલ્મ ચાલી જશે તો ગુજરાતી ફિલ્મોમાં નવો ચીલો ચિતરાશે. જોકે મીડિયાથી
નારાજ અભિનેતા હિતેન કુમારના મતે ગુજરાતી ફિલ્મોને મીડિયાનો સાથ સહકાર મળે તો
શહેરીજનોમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પોતાનું સ્થાન જલ્દી બનાવી શકે તેમ છે.
ગુજરાતી ફિલ્મ
ઈન્ડસ્ટ્રીની કાયાપલટ કરવા માટે સતત એક દાયકાથી વધારે સંઘર્ષ કરી રહેલા હિતેન
કુમારના મતે ગુજરાતી ફિલ્મોમાં સુધાર આવે તે માટે 14 વર્ષમાં અનેક ફિલ્મો કરી તેમ છતાં કોઈ ફેર પડ્યો નથી. સારી ગુજરાતી
ફિલ્મોની અછતની સામે બહોળા પ્રમાણમાં ગુજરાતી દર્શકો નથી. ગુજરાતી ફિલ્મો માટે
શહેરમાં દર્શકવર્ગ ઉભો થશે નહીં ત્યાં સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સોનેરી
ભવિષ્ય મળી શકે તેમ નથી તે વાતનો સ્વીકાર કરતા હિતેન કુમાર હજૂ બે વર્ષ ગુજરાતી
ફિલ્મોમાં કામ કરવા માંગે છે.
જોકે અત્યાર
સુધી હિતેન કુમાર 97 ફિલ્મો કરી ચૂક્યાં છે. ખલનાયક ફિલ્મ
રીલીઝ થયા બાદ 100 ફિલ્મોની સદી કરવા માટે માત્ર બે
ફિલ્મોની જરૂર છે. જે માટે તેઓ અલગ પટકથા શોધી રહ્યાં છે. જે શહેરીજનોને આકર્ષી
શકે. તેમના મતે ગ્રામીણ ક્ષેત્રમાં ગુજરાતી ફિલ્મોનાં દર્શક વધ્યાં છે પરંતુ
શહેરીજનોમાં હજૂ પણ ક્રેઝ વધ્યો નથી.
સબસીડી -મોટા
જહાજના હલેસા સમાન
હિતેનકુમારના
મતે વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખની સબસીડી આપવામાં આવે છે. જે દરિયામાં
તરતાં જહાજને હલેસાનો સહારો આપવા સમાન છે. પહેલા માત્ર 10 લાખમાં ગુજરાતી ફિલ્મો બનતી હતી. તેમાં પાંચ લાખ સબસીડી મદદરૂપ થતી
હતી. જેથી રોકડી કરી લેવા માટે અનેક નિર્માતાઓનો જન્મ થયો અને તે દરમ્યાન ગુજરાતી
ફિલ્મોનો વિકાસ રૂંધાયો હતો.
સસ્તી ફિલ્મો
બનાવીને સબસીડી લેવા માટેની રમત ઘણા વર્ષો સુધી ચાલી હતી. પરંતુ હવે સારી ગુજરાતી
ફિલ્મોનું બજેટ 50 લાખથી 80 લાખની વચ્ચે થઈ ગયું છે. જેમાં સરકારની સબસીડી જહાજમાં આપવામાં
આવતાં હલેસા સમાન છે. જે મળે કે ન મળે બરાબર છે. આ બાબતે સરકાર સત્વેર પગલા લે તે
જરૂરી છે. મહારાષ્ટ્રમાં જે પ્રકારે મરાઠી ફિલ્મો માટે સબસીડીમાં વધારો કરવામાં
આવ્યો છે. તે પ્રકારે ગુજરાત સરકારે પગલાં ભરવા જરૂરી છે.
અત્યાર સુધીમાં
રાજ્યમાં કોઈ પણ સરકાર આવી પરંતુ તેમણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બાબતે નક્કર પગલા
ભર્યા નથી. તો બીજી તરફ ગુજરાતી નિર્માતાઓનું સક્ષમ પ્રતિનીધિ મંડળ નથી. જેથી હજૂ
સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બૂલંદ અવાજ સરકારના કાન સુધી પહોંચ્યો નથી.
છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં પ્રગતિ થઈ છે. પરંતુ ગુજરાતી ફિલ્મ
ઈન્ડસ્ટ્રી ત્યાંની ત્યાંજ છે.
મીડિયા જગતથી
નારાજ
પ્રિન્ટ મીડિયા
દ્વારા ક્યારેય પણ ગુજરાતી ફિલ્મો માટે સારું લખાણ કરવામાં આવ્યું નથી. જ્યારે
લખ્યું છે તો માત્ર ટીકા લખી છે. પરંતુ મીડિયા જગત થોડો રસ દાખવે તો ચોક્કસ લોકોને
ગુજરાતી ફિલ્મો માટે આકર્ષણ જમાવી શકાય તેમ છે. વર્ષ 2011માં જન્મદાતા ગુજરાતી ફિલ્મને ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં
સ્થાન મળ્યું હતું.
બે દાયકા બાદ
કોઈ ગુજરાતી ફિલ્મને ઈન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટીવલમાં સ્થાન મળ્યું હતું. તેમ છતાં આ
બાબતે મીડિયા જગતે વાંચકો અને ગુજરાતીઓનું ધ્યાન ખેચ્યું નથી. હિતેન કુમારના મતે
મીડિયા જગત ઈચ્છે તો ઘણું લખી શકે તેમ છે. મીડિયા સારી કે ખરાબ વાતો લખવા સ્વતંત્ર
છે. પરંતુ ફક્ત સારી વાતો લખવામાં મીડિયા જગત હમેશા દૂર રહ્યું છે.
શહેરી યુવાનો
કેમ દૂર ?
હિતેન કુમારના
મતે શહેરની કોલેજોમાં હોલીવુડ કે હિન્દી ફિલ્મોની વાત કરવી તે સ્ટ્રેટસ સિમ્બલો
છે. જ્યારે ગુજરાતી ફિલ્મોની વાત કરવી તે શરમજનક બાબત લાગે છે. ગુજરાતી હોવાનો
ગર્વ દરેક ગુજરાતીને છે પરંતુ જ્યાં સુધી ભાષા પ્રત્યે માન નહીં થાય ત્યાં સુધી
ગુજરાતી ફિલ્મો પ્રત્યે ગર્વ થશે નહીં.
(રાકેશ પંચાલ)
(રાકેશ પંચાલ)