ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

યાત્રાધામ ડાકોરની દયનીય પ્રજા

મહાભારત કાળથી મહત્વ ધરાવતું ભગવાન શ્રીકૃષ્ણનું ડાકોર ધામ ચાર ધામોનું મહત્વનું એક ધામ છે. ડાકોરમાં વસેલા રણછોડરાયજીના દર્શનાર્થે દેશના ખુણે ખુણેથી હજારોની સંખ્યામાં વાર તહેવારે આવતા હોય છે.


 ગુજરાતના અન્ય તીર્થધામોની જેમ ડાકોર મંદિરના પરિસર તેમજ આજુબાજુ વિકાસના કામો થયા હશે પરંતુ ડાકોરવાસીઓની સ્થિતિ દયાજનક છે. ડાકોરવાસીઓ માટે ગાંધીબાગ બન્યો છે પરંતુ બંધ અવસ્થામાં છે. અમુક ફળિયામાં સરકારી ચકલીઓ છે પરંતુ પીવી કે નાહવા કે કપડાં ધોવા પાણી નથી. સ્થાનીય સુવિધાઓને પડી રહેલી અસુવિધાઓની અસર ગૌમતી નદીની થઈ રહી છે તેમા વળી ગૌમતી નદીમાં છૂટા હાથે ગુલાબ, વાળ તેમજ પ્લાસ્ટીકની થેલીઓ પધરાવામાં આવે છે. ડાકોરમાં વિકાસના કામોની શરૂઆત થઈ છે પરંતુ તે પૂર્ણ થયા હોય અને લોકઉપયોગી બન્યા હોય તેવા સફળ કિસ્સા આંખે દેખાતા નથી.

ડાકોરને ત્રણ નજરે જોવામાં આવે છે. એક રણછોડરાયજીના મંદિર તરીકે, બીજું ગૌમતી તળાવનું ધાર્મિક મહત્વ અને ત્રીજુ વેપાર રોજગાર માટે વસેલા સ્થાનીય લોકો. વર્મતાન સમયમાં ડાકોર નગરનો વપરાશ આર્થિક, સામાજીક અને ધાર્મિક ત્રણેય પ્રકારે થઈ રહ્યો છે. ડાકોરના મુખ્ય પ્રશ્નોમાં એક પ્રશ્ન ગૌમતી તળાવ અને સ્થાનીય નાગરિકો માટે ટ્રાફિક અને પાણી છે. ગૌમતી તળાવના શુદ્ધિકરણ માટે અનેક સમિતિઓ બની પરંતુ સ્વચ્છતા દેખાઈ રહી નથી. ગૌમતી તળાવની ચાર બાજુ ગંદકી છે તે બાબતે જણાવતાં ડાકોરના જાગૃત નગરજનો જણાવે છેકે વરસાદમાં ગૌમતી તળાવ ઓવરફ્લો થાય છે તે દરમ્યાન કચરો ચારેય દિશમાં ફેલાય જાય છે. એનઆરઆઈ દ્રારા દાનમાં મળેલા રૂપિયાથી ચાર મહિના અગાઉ ગૌમતીનું શુદ્ધિકરણ તળાવના એક જ ભાગમાં થયું જ્યારે બાકીનો ગૌમતી તળાવનો વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે. ગૌમતી શુદ્ધિકરણ અંતર્ગત અનેક સરકારી ગ્રાન્ટ આવે છે પરંતુ તેનો વપરાશ થતો હોય તેમ જણાઈ રહ્યું નથી.


  ડાકોરનાં ગૌમતી તળાવમાં સવારથી કપડાં ધોવા માટે મહિલાઓ આવી જાય છે. એક જ વિસ્તારની પાંચસોથી વધારે મહિલાઓ રોજિંદા કપડા ધોવા માટે ગૌમતી ઘાટ આવે છે. તેમાનાં એક ડુંગરા ભાગોળ વિસ્તારના મધુબેનના જણાવ્યા અનુસાર અમારે સરકારી ચકલી છે પરંતુ તેમાં પાણી આવતું નથી. આ સમસ્યા દાયકાઓથી વધારે સમયથી ચાલી આવી છે. નગરના છેવાડેથી મહિલાઓને કપડાં ધોવા માટે સવારથી આવવાની ફરજ પડે છે. તો બીજી તરફ ગૌમતી ઘાટ પર વર્ષોથી ફોટોગ્રાફીનાં ધંધો કરી રહેલા પંચાસ જેટલા યુવકોને પોતાની સમસ્યા છે. આ યુવકોના મતે ગૌમતી ઘાટમાં ગંદકી હોવાથી તેમને ફોટાગ્રાફીમાં તકલીફ પડે છે. લોકો ફોટો પડવામાં રસ લેતા નથી. ગંદકી હોવાના કારણે અન્ય ઘાટ કે સ્થળે ફોટોગ્રાફી કરી શકાતી નથી. જેથી એક જ સ્થળે બધા ફોટોગ્રાફર્સ ભેગા થઈ જાય છે. અહીં ગૌમતી ઘાટમાં યાત્રાળુંઓ દ્રારા ગુલાબ, વાળ તેમજ પ્લાસ્ટીકની થેલીઓ સહિતની સામગ્રી ઠાલવી દેવામાં આવે છે જેની સામે તંત્ર દ્રારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગંદકીના કારણે ગૌમતી ઘાટના પગથિયાં ચીકણા બની ગયા છે. જે કારણોસર પગ લપસી જવાના કિસ્સા અવાર નવાર બનતા હોય છે. દર વર્ષે પગ લપસી જવાના કારણે મૌત થવાની ઘટના બને છે તેમ છતાં ગૌમતીને નિયમિતપણે ચોખ્ખી અને સ્વચ્છ રાખવા માટેનું વલણ તંત્ર અપનાવી રહ્યું નથી આ ઉપરાંત એક દાયકા પહેલા ડાકોરના ગૌમતી તળાવમાં રામ કાચબાની સંખ્યા મોટા પ્રમાણમાં હતી. જે ગંદકી તેમજ તસ્કરી જેવી અન્ય પ્રવૃતિઓના કારણે વર્તમાન સમયમાં નામશેષ બની ગયા છે. તેમ જાગૃત નાગિરક  જણાવી રહ્યાં છે. જો આ પ્રકારની પરિસ્થિત ભવિષ્યમાં રહેશે તો ડાકોરનો વિકાસ થાય તેમ લાગી રહ્યું નથી.

 ગાંધીબાગની રખેવાળી કરી ચુકેલા સુનીલભાઈ તેમજ અન્ય નાગરિકોના મતે ડાકોરમાં શુદ્ધ પીવાના પાણી માટે પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. જે પણ પૂર્ણ થયો નથી. કરોડોના ખર્ચે બનેલો આરો પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. ઉપરાંત વર્ષ 2010માં ગાંધીબાગ બનાવામાં આવ્યો હતો જે વર્તમાન સમયમાં બંધ અવસ્થામાં છે. વર્ષ 2010માં ગાંધીબાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે તેમાં પ્રવેશદ્રારે ફુંવારો તેમજ સારા પ્રમાણમાં વિવિધ પ્રકારના છોડ અને ઝાડ હતાં પરંતુ વર્તમાન સમયમાં છેલ્લા દોઢ વર્ષથી બાગને તાળા વાગી ગયા છે. લોકોને કુદીને બાગમાં પ્રવેશ કરવો પડે છે.

All right reserved by : ચરોતરનો અવાજ |