સુરતમાં બળાત્કારના કેસમાં વોન્ટેડ રહેલા
અને છેલ્લા ઘણા સમયથી ફરાર વિવાદાસ્પદ આસારામના પુત્ર નારાયણ સાંઈની આજે બુધવારે
4મી ડિસેમ્બરના રોજ દિલ્હી હરિયાણા સરહદ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી.
છેલ્લા અનેક દિવસોથી નાસતો ફરતો આસારામનો
પુત્ર નારાયણ સાંઈ અંતે પોલીસના હાથે ચઢી ગયો છે.નારાયણ સાંઈ અને તેને મદદકર્તાઓ
દ્રારા તેની ધરપકડ ટાળવાના અનેક પ્રયત્નો થવા પામ્યાં હતાં. 58 દિવસથી ફરાર રહેલા
નારાયણ સાંઈની ધરપકડ દિલ્હી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનથી શક્ય બની છે.
સુરત પોલીસે વિવાદાસ્પદ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કાર, જાતિય
સતામણી અને ગેરકાયદે ગોધી રાખવાના મામલે બે ફરિયાદ દાખલ કરી હતી.
છઠ્ઠી ઓક્ટોમ્બરના રોજ સુરતની બે બહેનો દ્રારા આસારામ અને તેમના પુત્ર નારાયણ
સાંઈ સામે આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. બે બહેનો પૈકીની નાની બહેન જે
30 વર્ષની છે તેને સાંઈ સામે ફરિયાદ કરી હતી કે વર્ષ 2002 અને 2005 વચ્ચેના
ગાળામાં તેના ઉપર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એ વખતે તે સુરત આશ્રમમાં
રહેતી હતી. નારાયણ સાંઈની પોલીસે કુરક્ષેત્રના પીપળીથી ધરપકડ કરી હતી. સુરત પોલીસે
દિલ્હી પોલીસની સાથે મળીને ચલાવેલા આ ઓપરેશનમાં સફળતા હાથ લાગી હતી. નારાયણ સાંઈની
સાથે સાથે તેના અન્ય ચાર સાથીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના
જણાવ્યા અનુસાર જ્યારે નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી ત્યારે તે શીખ વેશમાં
હતો.પાઘડીની સાથે સાથે નારાયણ સાંઈએ જીન્સઅને ટી શર્ટ પહેરેલી હરતી. નારાયણ સાંઈ
ઉપર હવે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ફરાર થયેલા નારાયણ
સાંઈને પકડી પાડવા માટે છેલ્લા ધણા સમયથી તપાસ ચાલી રહી હતી. જુદા જુદા રાજ્યોમાં
દરોડા પણ પાડવામાં આવ્યા હતા. નારાયણ સાંઈ અંગે માહિતી આપનારને પાંચ લાખ રૂપિયાની
જાહેરાત કરવામાં આવી હતી. તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કરાયા હતા. આસારામ
પહેલાંથી જ જોધપુર જેલમાં છે. આસારામને પણ જોરદાર હોબાળો મચી ગયા બાદ પકડી
પાડવામાં આવ્યા બાદ હાલ જેલમાં છે. ( બ્યુરો )
Article Written By